તામિલનાડુના તાંજોર ગામમાં આવેલું બૃહદેશ્વર મંદિર તેની કલાકૃતિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ શિવાલય છે. બૃહદેશ્વર મંદિરને રાજરાજેશ્વરમ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. તામિલનાડુના પ્રવાસે નીકળેલા લોકો તો અચુક અહીં દર્શન કરવા આવે જ છે, સાથે સાથે યાત્રાળુઓ માટે પણ આ મંદિર આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. બૃહદેશ્વર મંદિરની સ્થાપના અગિયારમી સદીના આરંભમાં કરવામાં આવી હતી.
ત્યાંના લોકો તેને પેરુવુટૈયાર કોવિલના નામથી પણ જાણે છે. આ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. તે દેશનાં પ્રાચીન મંદિરોમાંનું એક મંદિર છે. તેને રાજારાજ ચૌલ પહેલાએ આ શિવાલયનું નિર્માણ કરાવ્યું હતું.
આ મંદિરની વિશેષતા એ છે કે તેની રચના એ રીતે કરવામાં આવી છે કે સૂર્ય તેની ઉપર આવે તો પણ તે મંદિરના શિખરનો પડછાયો જમીન ઉપર ન પડે. આપણે માનીએ છીએ કે અત્યારના લોકો કલાકૃતિ કરવામાં ઉસ્તાદ હોય છે, પણ આપણે પહેલાંના સમયના લોકોની કલાકૃતિ જોઇએ તો ખ્યાલ આવે કે કળાના ઉત્કૃષ્ટ નમૂના તે લોકો બનાવીને ગયા છે, અને આપણને આવાં પ્રાચીન મંદિરોના રૂપમાં ઉત્તમ ભેટ આપતાં ગયા છે.
આ મંદિરની રચના રાજારાજ ચૌલના સ્વપ્ન થકી કરવામાં આવી હતી. રાજારાજ ચૌલ પહેલાને એક વાર સ્વપ્ન આવ્યું હતું, તેમણે તેમના સપનામાં જોયું હતું કે આ જમીનમાં ભગવાન શિવનો વાસ છે, ભગવાન પોતે અહીં વસે છે પણ ત્યાં દેવસ્થાનના અભાવે લોકોને તે વિશે ખબર જ નથી.
આ સ્વપ્ન બાદ તે ધરા ઉપર રાજાએ મંદિર બનાવવાની શરૂઆત કરી હતી. તે સમયે તેમણે ગામેગામથી લોકોને બોલાવ્યા હતા અને ઉત્તમ મંદિરની રચના થાય તેવી વ્યવસ્થા કરી હતી. રાજારાજને બૃહદેશ્વરનું મંદિર માત્ર ઔગ્રેનાઇટ નામના સૌથી મજબુત પથ્થ વડે જ બનાવડાવવું હોવાથી સૌપ્રથમ અહીં ગ્રેનાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંદિરની રચના
મંદિરની રચના વિશે વાત કરીએ તો તેની રચના એક ઉત્તમ કલાકારીગરીનો નમૂનો કહી શકાય તેવી છે. મંદિરના શિખરને ૮૦ ટનના એક પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ પથ્થરો જોડીને નહીં પણ એક મોટા પથ્થરમાંથી જ ઝીણી ઝીણી કોતરણી કરીને તેની રચના કરવામાં આવી છે. મંદિરના ગુંબજ ઉપર એક સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી છે.
મંદિરના એક એક પથ્થરને તેમજ તેના થાંભલાને એકબીજા સાથે ચોંટાડવામાં નથી આવ્યા, પણ એકબીજાની સાથે સરખી રીતે સેટ થઇ શકે તે રીતે તેમને કટ કરીને એકબીજા સાથે ફિક્સ કરવામાં આવ્યા છે. આ પથ્થરો એકબીજા સાથે એવી રીતે ફિક્સ છે કે તે ક્યારેય અલગ ન થઇ શકે. આ આખાય મંદિરને લગભગ ૧૩૦,૦૦૦ ટન ગ્રેનાઇટથી જ બનાવવામાં આવ્યું છે, તેથી એમ કહી શકાય કે માત્ર ગ્રેનાઇટ વડે બનેલું આ પહેલું મંદિર છે.
આગળ કહ્યું તે પ્રમાણે ગ્રેનાઇટને એકબીજા સાથે જોડવા ચૂનાનો કે સિમેન્ટનો ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો. મોટાભાગે કોઇ પણ મકાન બનાવવું હોય તો તેમાં વાપરવામાં આવતાં પથ્થર કે ઈંટને જોડવા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, અહીં એ યુગમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. અહીં પણ બધા જ ગ્રેનાઇટ એકબીજા સાથે ફિક્સ થઇને કાયમ ટકે એ રીતે ગોઠવવામાં આવ્યા છે.
આજની તારીખે પણ એમ જ અડીખમ ઊભા છે. મંદિરની કોતરણી પણ સુંદર છે. એકદમ ઝીણું નકશીકામ મંદિરની કોતરણીમાં જોવા મળે છે. મંદિરની અંદર રાખેલા કાળા કલરના નંદી મહારાજની ર્મૂિતને પણ એક ૨૫ ટનના મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. તેમાં એક જ મોટા પથ્થરનો ઉપયોગ થયો છે. નંદીની ર્મૂિત ૧૨ ફૂટ લાંબી, ૧૨ ફૂટ ઊંચી અને ૧૯ ફૂટ પહોળી છે. મંદિરના ગુંબજમાં પણ ૮૦ ટનના એક પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુંબજને કોતરી લીધા બાદ પંદરસો લોકોની મદદથી તેને મંદિર પર ચડાવવામાં આવ્યો હતો.
બૃહદેશ્વર મંદિરની ઊંચાઇ એટલી બધી છે કે તેને તાંજોર ગામના કોઇ પણ ખૂણેથી જોઇ શકાય છે. તેની ઊંચાઈ ૨૧૬ ફૂટ છે. મંદિરની બીજી વિશેષતા એ છે કે આવડું મોટું મંદિર પાયા વગર જ ઊભું કરવામાં આવ્યું છે. મોટાભાગની ઈમારતો કુદરતી પરિબળો સામે ટકી શકે એ માટે ધરતીની અંદર પાયો બનાવીને ઉપર ઈમારત બનાવવામાં આવે છે, પરંતુ આ મંદિરમાં ધરતીની અંદર પાયો બનાવવામાં આવ્યો નથી.
મંદિરની અંદર
મંદિરની અંદર પ્રવેશ કરતાં જ ગ્રેનાઇટના કાળા કલરના નંદી મહારાજ જોવા મળે છે, સામે જ ૧૩ ફૂટના શિવલિંગનાં દર્શન થાય છે. શિવલિંગની ટોચ પર એક વિશાળકાય પંચમુખી સાપ પણ કોતરવામાં આવ્યો છે. શિવલિંગ ઉપર જળ અને દૂધ ચડાવવા માટે સીડી ઉપર ચડવું પડે છે. દેશ વિદેશથી લોકો અહીં દર્શન કરવા આવે છે. કહેવાય છે કે આ મંદિરે આવીને ભગવાન શિવને ભજવાથી સંપૂર્ણ શાંતિની પ્રાપ્તિ થાય છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન અને ધ્યાન કરવા આવે છે. બૃહદેશ્વર મંદિર સવારે પાંચ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું હોય છે, ત્યાં શિવરાત્રીના દિવસે ખાસ શિવ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
બૃહદેશ્વર મંદિર પહોંચવા માટે સૌપ્રથમ તાંજોર ગામ પહોંચવું પડે છે. તાંજોરથી સરકારી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા તમે મંદિરે પહોંચી શકો છો. તાંજોર પહોંચવા માટે ટ્રેનની વ્યવસ્થા પણ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.