ઈતિહાસના અનેક પડકારોનો સામનો કરી અડીખમ ઉભેલાં ભગવાન સોમનાથ મહાદેવના મંદિર આસપાસ ભૂમિમાં અનેક ઈતિહાસ ધરબાયેલાં છે. ત્યારે આ ઈતિહાસ લોકો સમક્ષ બહાર આવે તે માટે ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમે એક સરવે કર્યો હતો જેમાં સોમનાથના પરિસરના ભૂગર્ભમાં એલ આકારની ત્રણ માળની ઇમારત હોવાનું બહાર આવ્યું છે.
અનેક આક્રમણો સામે અડીખમ રહેલાં સોમનાથ મંદિરના પેટાળમાં અનેક ઐતિહાસિક પૂરાવાઓ રહેલાં છે. જે તેના ભવ્યાતિભવ્ય ઈતિહાસની સાક્ષી સૂચવે છે. વિધ્વંસકારીઓએ અનેક વખત સોમનાથ પર આક્રમણો કર્યાં. તેમ છતાં તેનો વિરલ વારસો ભૂંસી નથી શક્યા. તેના પૂરાવા સતત અને અવિરત મળતાં રહ્યાં છે. હાલમાં જ એક સંશોધનમાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો સદીઓ જૂનો ઇતિહાસ સામે આવ્યો. હાલમાં જ એક સંશોધનમાં સોમનાથ પરિસરમા ભૂગર્ભમાં એલ આકારની ત્રણ માળની ઇમારત હોવાનું બહાર આવ્યું છે.
સર્વેમાં મળી આવ્યો ભંડાર
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને તેની સાથે 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમે પ્રભાસપાટણમાં આવી સોમનાથ તીર્થનો ઈતિહાસ જાણવા સર્વે કર્યો હતો.
સોમનાથમાં સંશોધન કરવા આવેલી ટીમે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર નામનું મશીનથી સોમનાથના વિવિધ સ્થળે સંશોધન કરી અને સોમનાથના પેટાળમાં રહેલાં ભવ્ય ભંડાર વિશે તારણ બહાર લાવ્યા હતાં અને તેનો અહેવાલ ટ્રસ્ટને સુપરત કર્યો હતો.
સોમનાથ આસપાસ GPR ઈન્વેસ્ટિગેશન હાથ ધરાયું
પ્રભાસપાટણ ખાતે પુરાતત્વનો અભ્યાસ કરવા આવેલી ટીમે સોમનાથ આસપાસ GPR ઈન્વેસ્ટિગેશન કર્યું હતું. જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલા સંકેલી હતી તે ગોલોકધામ એટલે કે દેહોત્સર્ગ તીર્થ. સોમનાથ મંદિરનું પ્રવેશ દ્વાર દિગ્વિજય દ્વારથી વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસ. તેમજ પૌરાણિક બૌદ્ધ ગુફામાં સંશોધન કરી અને 32 પેજનો એક રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સુપરત કરાયો.
ભૂગર્ભમાં મોટું બાંધકામ હોવાના પુરાવા મળ્યા
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને તેની સાથે 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના સર્વેમાં સોમનાથ મંદિરના મુખ્યદ્વાર દિગ્વિજય દ્વારા અને સરદાર પટેલના સ્ટેચ્યુની પાછળ પૂર્વ તરફ ભૂગર્ભમાં ત્રણ માળનું બાંધકામ હોવાનો દાવો કરાયો છે. તો સોમનાથમાં આવેલ બૌદ્ધગુફાઓ નજીક પૌરાણિક રસ્તાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો હિરણ, કપિલા અને સરસ્વતીના તીરે આવેલાં ગોલોકધામલ તીર્થમાં પણ ભૂગર્ભમાં મોટું બાંધકામ હોવાના પુરાવા મળ્યાનું સામે આવ્યું છે.
સોમનાથના પેટાળમાં ધરબાયેલો ભવ્ય ઈતિહાસને લઇને થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે અવારનવાર સોમનાથ ટ્રસ્ટની મીટિંગો યોજાતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પુરાતત્વવિભાગ દ્વારા સંશોધન કરવાનું સૂચન અપાયું હતું. તેના અમલના ભાગ રૂપે જ આ સોમનાથના પેટાળમાં ધરબાયેલો ભવ્ય ઈતિહાસ અને તેના રોચક તથ્યોના પુરાવા બહાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ અંગે વધુ પુરાવાઓ મળશે અને સોમનાથના ભવ્ય ઈતિહાસના વધુ પાસાઓ પણ લોકોને જાણવા મળશે.