વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા, નવ દુર્ગા અને મહા કાળી માતા ની સ્થાપના થઈ છે. પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમાના ભક્તો દર્શન કરે છે. નવરાત્રીમાં ભક્તોની ભીડ જામી હોય છે. શક્તિ સ્વરુપા મા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતુ રહે છે માતાનું નામ. નાના મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે ખાસ સુવિધાઓ ઉભી કરી છે
આ સ્થાનકમાં શિતળા માતા અને હનુમાનજીનું મંદિર આવેલું છે. તો કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. આ બે મંદિરોની વચ્ચે વાવ આવેલી છે. આસોસુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે. આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે. આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે. એક માન્યતા પ્રમાણે માતાજી નાં મંદિર માં નવરાત્રી દરમ્યાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમ્યાન અહીં આઠમ નો મેળો ભરાઈ છે અને 3 લાખ જેટલા લોકો આ મેળા માં ભાગ લે છે એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા રખાઈ છે
પારનેરાનાં આ ડુંગર પર શિવાજી મહારાજનો પણ ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જેનાં અવશેષો આજે પણ અહિં જોવા મળે છે. કિલ્લા સિવાય પેશ્વા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે. બંને માતાજી ના મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે, રાજ્યભરમાંથી પઘારતા ભક્તોએ ભલે આકરો પથ પાર કર્યો હોય પણ આરતીમાં ઉપસ્થિત રહી એ અલોકિક ઊર્જાનો સંચાર અનુભવે છે.
માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે. કોઈક પગ પાડા ઘરેથી નીકળે તો કોક દરેક પગથિયે સાથિયો પુરે છે. કોઈક દરેક પગથીયે ફૂલ મૂકે છે તો કોઈક વિવિધ પ્રસાદ કે થાળ ચઢાવે છે.
ઇતિહાસ માં ડોક્યું કરીયે તો આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. શિવાજી જયારે સુરત માં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહયા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજી ની ભક્તિ માં લીન થયા હતા. કેહવાઈ છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ થતા માએ તેમને સંકેત આપ્યો. આ ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા. તો આમ મા ચામુંડાની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની માનતા પૂરી થઈ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.