સુરેન્દ્રનગર જિલ્લાની પાંચાળની ધરા પર મૂળી ગામની વચ્ચોવચ એક મંદિર આવેલ છે, એમાં જોનારને કશું અજીબોગરીબ પ્રથમ નજરે તો ન જ જણાય પણ જો તમારે એક આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. તે અન્ય દેવાલયની જેમ જ દેખાય છે. પહેલી વાર જોતાં તેમાં કંઈ અલગ લાગતું નથી, પરંતુ જો કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યા રોકાવું પડે અને આરતી ટાણે હાજરી આપવી પડે.
આ છે મૂળીની ખાસિયત
મૂળી જૂના વખતમાં એક નાનકડું રજવાડું હતું. તેની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા. એ વખતે મૂળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી પરમાર નામના રાજા થઇ ગયા. એક વાર હળવદના રાજા કેસરજી, ધ્રોલના રાજા અને ચાંચોજી દ્વારકા ગયા. ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેયે પોતાની મરજી મુજબ એક-એક પ્રતિજ્ઞા લીધી. ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવીને કોઇ પણ વ્યક્તિ જે માગે તે આપવું. વખત જતાં ધ્રોલ રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઇ પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું. આથી હળવદના રાજા કેસરજીને તેની ઇર્ષ્યા થઈ આવી. તેણે ચાંચોજીનો પ્રતિજ્ઞાભંગ કરવા માટે પોતાના દશોંદી ચારણને કહ્યું. ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો. ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માગણી કરી! આખા ડાયરાએ ચારણને આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઇને બેઠો.
ચારણની માગ પૂરી કરવા અહીં કરાઈ હતી પ્રાર્થના
ચારણની માગ પૂરી કરવાનું ચાંચોજીએ વચન આપ્યું. પછી તેમણે માંડવરાયજીના મંદિરે જઇ માંડવરાયદાદાને પોતાની આબરૂ રાખવા પ્રાર્થના કરી અને એવું કહેવાય છે કે બીજા દિવસે પાંચાળના ડુંગરોના ગાળામાં બધાં ગયા ત્યારે ભગવાન માંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યા. ચાંચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યા. પણ ચારણ ક્યાં? ચારણ એ વાત તો સાવ ભૂલી જ ગયેલો કે સાવજનું દાન સ્વીકારવું કઇ રીતે! તેને હાથમાં પકડવો એ સહેલી વાત થોડી હતી! ચારણ ત્યાંથી ભાગ્યો અને ભાગતાં ભાગતાં કહ્યું કે ચાંચોજી તમે હવે એને છોડી મૂકો. એટલે મેં માગેલુ દાન પહોંચી ગયું સમજજો! ચાંચોજીએ સિંહને વંદન કરી છોડી મૂક્યો. ભગવાન માંડવરાયજીએ એમની આબરૂ રાખી હતી!
મોર 2 ટહુકા કરે પછી આરતી થાય છે આ મંદિરમાં
આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મૂળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે. આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે. એક મોર દુનિયાના કોઇ અગોચર ખૂણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે ટહુકા કરે અને ત્યારબાદ આરતીની શરૂઆત થાય છે! સદીઓ થઇ ગઇ તોયે આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો! દરરોજના નિયત સમયે મોર ટહુકે છે અને આરતી બાદ મોર જતો રહે છે. ક્યાં જાય છે એ કોઇ નથી જાણતું! પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર. આવે એટલે આવે જ. પછી ભલે પ્રખર ગરમી હોય, ઠંડી હોય કે પછી ગાજવીજ સાથેનો વરસાદ હોય! વળી, આટલા દાયકાઓથી મોર એનો એ જ છે, બદલાયો નથી. આની પાછળ શું કારણ છે? આખરે દુનિયામાં એવી વસ્તુ, એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે કે જે વિજ્ઞાનની સમજના સીમાડા બહાર છે! એ સામાન્ય માનવીની પણ સમજની બહાર છે.